Menu

પુનર્નિયમ 14

IRV

1 તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું. 2 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે. 3 તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ. 4 તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં, 5 હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં. 6 જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો. 7 પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે. 8 ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ. 9 જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં; 10 પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે. 11 બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો. 12 પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર, 13 સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે. 14 પ્રત્યેક જાતના કાગડા, 15 શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા, 16 ચીબરી, ઘુવડ, રાજહંસ, 17 જળકૂકડી, ગીધ, કરઢોક; 18 દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું. 19 બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય 20 પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો. 21 પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ. 22 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો. 23 તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો. 24 જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય, 25 તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું. 26 અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો; 27 તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી. 28 દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો; 29 તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate