Menu

પ્રકટીકરણ 8

IRV

1 જયારે હલવાને સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું. 2 ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં. 3 ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે. 4 ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો. 5 સ્વર્ગદૂતે ધૂપદાની લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં. 6 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા. 7 પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં. તે પૃથ્વી પર ફેંકાયાં અને પૃથ્વીનું ત્રીજો ભાગ બળી ગયો, તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું. 8 પછી બીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો, 9 તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો. 10 ત્રીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. 11 તે તારાનું નામ નાગદમન હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં. 12 પછી ચોથા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો. 13 જયારે મેં જોયું, તો ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!

Everything we make is available for free because of a generous community of supporters.

Donate